




- બોઇલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું સાયખા જીઆઈડીસી અને આજુબાજુના ગામો
- કંપનીમાં બ્લાસ્ટ થતા અકસ્માતમાં 1નું મૃત્યુ 24 થયા ઇજાગ્રસ્ત
ભરૂચ,12 નવેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાની સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે એક ગમખ્વાર અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસીમાં આવેલી વિશાળ્યકરણી ફાર્માકેમ કંપનીમા મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.અકસ્માતમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુની ઘણી કંપનીઓને પણ અસર થઈ હતી.આ ધડાકાથી કંપનીઓમાં પણ નુકશાન થવા પામ્યું હતું. બનાવને લઈ જિલ્લા પોલીસ ,જીપીસીબી ,ફાયર વિભાગ તેમજ ફેક્ટરી ઇસ્પેક્ટર સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ દોડી આવી કમાન સંભાળી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. તુરંત જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતા જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલમાં તમામ કામગીરી રાહત અને બચાવ કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ બ્લાસ્ટ થયો ત્યારે કંપનીમાં પ્રોસેસ ચાલુ હતી નાઇટ શિપ જેને કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે જ્યારે 24 જેટલા લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોઇલરના બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી. આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સ અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાને કારણે વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ