

પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : કારતકી પૂર્ણિમાના સાત દિવસીય મેળાના સમાપન પછી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં જમા થયેલા કચરાને દૂર કરવા માટે નગરપાલિકાએ વિશાળ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આ મેળા દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીમાં તર્પણ વિધિ કરી હતી, જેના કારણે નદીના પટમાં ઘણો ઘન કચરો એકત્રિત થયો હતો.
સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે અને સ્વચ્છતા કમિટીના સભ્યોના માર્ગદર્શન હેઠળ સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સફાઈ કર્મચારીઓ નદીના પટને પૂર્ણ સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ સાથે સતત કામગીરીમાં જોડાયેલા છે.
આ અભિયાનથી નદીનું સૌંદર્ય અને સ્વચ્છતા ફરી ઉભી થતી જોવા મળી રહી છે. નગરજનોએ નગરપાલિકાના આ પ્રયત્નોની પ્રસંશા કરી છે અને સ્વચ્છતા જાળવવા માટે સૌને આગળ આવવાની અપીલ પણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ