
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણીનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષો સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી. સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઇ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ-એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું પણ આહવાન કર્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને બીરદાવ્યુ હતુ.
ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ 15 નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અન્વયે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.તેમણે જણાવ્યુ હતુ કે,ભગવાન બિરસા મુંડાનો જન્મ 1875 માં ઝારખંડના એક નાના ગામડામાં થયો હતો. નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપૂણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડિ બુટ્ટીઓનું જ્ઞાન પણ મેળવ્યું હતુ. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી હતી. તેમની અદમ્ય શક્તિ, લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ વંદન કરીએ છીએ.
કાર્યક્રમના આરંભે વિદ્યાર્થીનીઓ દ્વારા બિહુ અને છતીસગઢી નૃત્ય તેમજ સંસ્કૃત આદિવાસી જીવન શૈલી પર આધારિત નૃત્યની પ્રસ્તુતિ વિધાર્થીનીઓ દ્રારા કરવામાં આવી હતી. મહિલા અધિકારો આદર અને સન્માન તેમજ મહિલાઓ પર થતી સતામણી અધિનિયમ ૨૦૧૩ અંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતનભાઇ સોજીત્રાએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન આયોજન અધિકારી શ્રી આર. એમ.ગંભીરે કર્યુ હતું. તેમજ આભાર વિધિ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કરી હતી.
આ તકે પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી શાખા, મહિલા લક્ષી યોજનાઓ, આઈસીડીએસ દ્વારા વાનગી નિદર્શન, સમાજ સુરક્ષા સહિતના વિભાગો દ્વારા સ્ટોલની નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્થ કેમ્પનો પણ બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. આ તકે બિરસા મુંડાજીના જીવન અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન સૌ કોઈએ નિહાળી હતી. તેમજ બહાઉદીન કોલેજ જૂનાગઢ ના અધ્યાપક બી. એસ. રાઠોડ એ જનજાતિય ગૌરવ અને બિરસા મુંડાજીના જીવન ઉપર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે આદિજાતિ સમુદાયના સમાજના તેજ્સ્વી વિધાર્થીઓ,રમતવીરો,શ્રેષ્ઠ કર્મચારી ઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે સૌ કોઈએ સ્વદેશી વસ્તુ અપનાવવા માટેના શપથ લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ