
ગાંધીનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર ગણતરીની 100% કામગીરી સંપન્ન થઈ છે. જ્યારે 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી થઈ ચૂકી છે. આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.66 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 8.39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 36.89 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.53 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ