આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજભવન ખાતે “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-2028ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાન
સહકારથી સમૃદ્ધિ સંમેલન


સહકારથી સમૃદ્ધિ સંમેલન


સહકારથી સમૃદ્ધિ સંમેલન


સહકારથી સમૃદ્ધિ સંમેલન


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-2028ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન પૂર્વે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીની મુલાકાત લઈને મંડળીના પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો.

સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે'; આ થીમ સાથે આયોજિત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહકારી આગેવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે. અહીંના નાગરિકો માત્ર પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે, દુનિયામાં એ જ લોકો સારા અને ઉમદા ગણાય છે, જે પોતાની સાથે અન્ય લોકોના કલ્યાણની ચિંતા કરે છે.

રાજ્યપાલએ કહ્યું કે, ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે – અમૂલ ડેરી. ગામડાંથી શરુ થયેલી નાની ડેરી આજે વિશ્વ કક્ષાએ ઓળખ મેળવી ચૂકી છે. તેમણે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને આહવાન કર્યું કે કૃષિ, બેંકિંગ, મત્સ્ય ઉદ્યોગ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં સહકાર દ્વારા નવી તકો ઊભી કરી, રોજગારીનું સર્જન કરો અને લોકોના જીવનમાં સુધારો લાવવાનો સંકલ્પ લો.

વેદોના ઉલ્લેખ સાથે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, બુદ્ધિશાળી અને સંસ્કારી લોકો એકસાથે સમાજના હિત માટે કાર્ય કરે તે જરૂરી છે. સમાજ સંગઠિત થયા વિના દેશ આગળ વધી શકે નહીં. સમજુ અને જ્ઞાની લોકોની ફરજ છે કે તેઓ સાથે મળીને ઊર્જા, સંપત્તિ અને સંસાધનોના વિસ્તરણ માટે પરસ્પર સહયોગી બને.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાના છેવાળાના માનવી સુધી સહકારનો લાભ પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને ગુજરાતના કુશળ સહકારી આગેવાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આ મંત્રાલયનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. રાજ્યપાલએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઘોષિત કરવું એ પણ એના વૈશ્વિક મહત્ત્વનું ઉદાહરણ છે.

રાજ્યપાલએ ઉપસ્થિત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને તેમના કાર્યક્ષેત્રના વિસ્તાર માટે પ્રેરિત કરતાં કહ્યું કે, તમારી પાસે વર્ષોનો અનુભવ છે, તેનો ઉપયોગ કરી સહકાર ક્ષેત્રને વધુ ઉન્નત બનાવો.

પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરતાં કહ્યું કે, ગુજરાતના લાખો ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે ભિન્ન છે. પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા જમીન, પાણી, હવા અને લોકોના આરોગ્યનું રક્ષણ થાય છે.

રાજ્યપાલએ સહકારી મંડળીઓને ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળ સાથે જોડાઈને જીવામૃત, ઘનજીવામૃત અને પ્રાકૃતિક જંતુનાશક ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે આથી ગૌશાળાઓની આવક વધશે, ખેડૂત સમૃદ્ધ બનશે, પર્યાવરણ બચશે અને સમગ્ર દેશ માટે આ મોડેલ બની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર વ્યવહાર નથી, એ એક ભાવના છે, આ ભાવનાને દ્રઢપણે અપનાવવાથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી સાર્થક થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સહકારિતા ક્રાંતિમાંથી પ્રેરણા લઈને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીનો પ્રારંભ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી શરૂ કરાવ્યો હતો.

એટલું જ નહિ, આ જ વર્ષે ગુજરાતની સહકારી પ્રવૃત્તિના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામ સાથે દેશની પહેલી સહકારી યુનિવર્સિટીની વડાપ્રધાનએ ભેટ આપી છે તેનાથી આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી વધુ ગૌરવમય બનશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી ‘કો-ઓપરેટિવ એમોન્ગ કો-ઓપરેટિવ્ઝ’ એટલે કે સહકારિતામાં સહકારનો ઉમદા વિચાર સહકાર ક્ષેત્રને મળ્યો છે. આ વિચારમાં રાજ્યની બધી સહકારી સંસ્થાઓ પોતાના આર્થિક વ્યવહારો સહકારી સંસ્થાઓ સાથે જ કરે, દરેક પ્રાથમિક મંડળી, એ.પી.એમ.સી., હાઉસિંગ મંડળી, ડેરી વગેરે જેવી તમામ સંસ્થાના બેન્ક એકાઉન્ટ મધ્યસ્થ સહકારી બેંકમાં હોય, ઉપરાંત ધિરાણ લેવા માટે પણ સહકારી તંત્રનો જ ઉપયોગ થાય એવી પરસ્પર સહકારની ભાવના રહેલી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “સહકારના નાણાં સહકારમાં જ રહે” અને આ નાણાં સમગ્ર સહકારના વિકાસનો સ્રોત બને તો તમામ સંસ્થાઓ એકબીજાને ઉપયોગી થવાની સાથે પાયાના લોકોના ઉત્થાનમાં પણ મદદરૂપ થઈ શકે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વને 11 વર્ષ પૂરાં થયા છે. તેમના કાર્યકાળમાં સેનાથી લઈને નાનામાં નાના કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સુધી સૌને સાથે લઈને ચાલવાની પરંપરા તેમણે વિકસાવી છે.

તેમના જ દિશાદર્શનમાં દેશમાં સહકાર ભાવના પ્રબળ બની છે અને આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય બન્યું છે અને તેનું સુકાન ગુજરાતના સહકારી અગ્રણી અને લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહનો સોંપ્યું છે. આ સહકાર મંત્રાલય શરૂ થતાં દેશમાં ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને મળાખાકીય અને સંસ્થાગત સ્વરૂપ આપવાની શરૂઆત થઈ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અને સહકારિતાને એકબીજાના પૂરક ગણાવતા કહ્યું હતું કે, ખેતીને આવનારા દિવસોમાં ઉત્તમ અને ટકાઉ બનાવવા અને જમીન સુધારણા માટેનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે.

વડાપ્રધાનએ પણ વિકસિત ભારત માટે જનજાગૃતિ માટેના 9 સંકલ્પો આપ્યાં છે તેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો છે તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ માટે વડપ્રધાનશ્રીએ આપેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી બચાવવા અને ખેતીમાં ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે ડ્રીપ ઈરિગેશન સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત સૌ સહકારી આગેવાનોને “સફેદ કપડામાં સંત” તરીકે ઉદબોધતા કહ્યું હતું કે, આ સહકારી આગેવાનો પોતાના સ્વાર્થ માટે નહિ, પરંતુ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે હરહંમેશ સૌના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારિતા ક્ષેત્રનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ સહકારિતા ક્ષેત્રને મહત્વ આપીને વિવિધ હિતલક્ષી નિર્ણયો કર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય કક્ષાની ભારતીય બીજ સહકારી સમિતિની રચના કરવામાં આવી. જેમાં આજે 14816 જેટલી સહકારી સંસ્થાઓ જોડાઈ છે. આ સંસ્થા દ્વારા આશરે 28126 ક્વિન્ટલ બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાનું આ વર્ષનું ટર્નઓવર આશરે રૂ. 41.5 કરોડ જેટલું નોંધાયું છે. આ ઉપરાંત બીજી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોઓપરેટીવ ઓર્ગેનિક લી. સહકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પણ 5000 થી વધુ સંસ્થાઓ જોડાઈ છે.

તેમણે ઉમેર્યું કે, ત્રીજી રાષ્ટ્રીય સહકારી સંસ્થા – નેશનલ કોઓપરેટીવ એક્સપોર્ટ લી.ની પણ સ્થાપના કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સાથે અન્ય 7700થી વધુ સહકારી સંસ્થાઓ જોડાઈ છે. આ સંસ્થા દ્વારા વર્ષ 2023-24માં જ 8.15 લાખ મેટ્રિક ટન ચોખા-ખંડ-ઘઉંની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે, જેનું મુલ્ય લગભગ રૂ. 2000 કરોડથી વધુ થાય છે. આ વર્ષે પણ NCEL દ્વારા આશરે રૂ. 4121 કરોડની કિંમતની નિકાસ કરવાનો અંદાજ છે.

ચૌધરીએ તેમના ઉદબોધન દરમિયાન પ્રાકૃતિક કૃષિ, સહકારી ક્ષેત્રના વિકાસ અને સહકારી ક્ષેત્રના પોતાના અનુભવો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત સૌ સહકારી આગેવાનોને સહકાર ક્ષેત્રના અવિરત વિકાસ માટે નવીન તકો અને નવા ક્ષેત્રોને શોધવા માટેના પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ, તેમના મહત્તમ સભાસદો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે પ્રયાસો કરવા માટે પણ તાકીદ કરી હતી.

સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન તરીકે છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. તેમના આ વિઝનને પરિપૂર્ણ કરવામાં સહકાર વિભાગ પોતાનું મહત્તમ યોગદાન આપી રહ્યો છે. વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ બનેલા અલાયદા સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે 54થી વધુ નવતર પહેલો હાથ ધરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરુ થયેલી “કો ઓપરેશન એમોન્ગ કો ઓપરેટીવ” પહેલ હેઠળ પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટના ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે. સહકાર ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓના સભાસદ માટે ડિવિડન્ડની મર્યાદા 15 ટકાથી વધારીને 20 ટકા સુધી કરી છે. સાથે જ, સભાસદ ભેટ મર્યાદામાં પણ 66 ટકાથી 150 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી કરોડો સભાસદોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત હાઉસિંગ સોસાયટીમાં મકાન ટ્રાન્સફર વખતે ઉદભવતા ટ્રાન્સફર ફીના પ્રશ્નનો અંગે પણ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રાજ્યના પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ, આ પ્રતિનિધિઓએ સહકારી ક્ષેત્ર અંગે પોતાના વિચારો અને અનુભવો પણ સૌની સમક્ષ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સરકારના સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકના પદાધિકારીઓ તેમજ સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande