ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મનપા કટિબદ્ધ: વેપારીઓ સાથે બેઠક યોજાઈ, કડક કાર્યવાહીની ચીમકી
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : ગાંધીનગર શહેરને ''પ્લાસ્ટિક મુક્ત'' બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોના ભાગરૂપે, પ્લાસ્ટિકના વપરાશ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, અને સમયાંતર
ગાંધીનગર મનપા


ગાંધીનગર મનપા


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : ગાંધીનગર શહેરને 'પ્લાસ્ટિક મુક્ત' બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોના ભાગરૂપે, પ્લાસ્ટિકના વપરાશ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, અને સમયાંતરે શહેરમાં પ્લાસ્ટિક વિરોધી ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવે છે.

આ પહેલના ભાગરૂપે, આજે ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર જે. એમ. ભોરણીયાના અધ્યક્ષસ્થાને શહેરના વિવિધ વેપારીમિત્રો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ મ્યુ. કમિશનર ઉપરાંત સેનિટેશન શાખાના મદદનીશ નિયામક, સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ, ઝોનલ ઓફિસરઓ, સેનિટરી ઇન્સ્પેકટરઓ તેમજ શહેરના વેપારીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન, નાયબ મ્યુ. કમિશનર દ્વારા પ્લાસ્ટિકથી થતા નુકસાન અને તેના વિકલ્પમાં ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓ અંગે ઉપસ્થિત વેપારીમિત્રોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે સ્વચ્છતાલક્ષી આદતો કેળવવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, ગાંધીનગર ફક્ત એક શહેર નહીં, પરંતુ ગુજરાતની રાજધાની છે, જેથી અહીંની નોંધ સમગ્ર ગુજરાત લેતું હોય છે. ત્યારે આપણે સ્વચ્છતા માટે પણ ખાસ કાળજી રાખવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ આદતો ફક્ત શહેરને સ્વચ્છ બનાવવા પૂરતી જ નહીં, પરંતુ વેપારીમિત્રો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. દુકાનની આસપાસની સ્વચ્છતાથી વેપારીમિત્રો પોતાની તેમજ પોતાના ત્યાં નોકરી કરતાં કર્મીઓના સ્વાસ્થ્યને પણ સુનિશ્ચિત કરી શકે છે. આ ઉપરાંત, સ્વચ્છતા પોતે જ ખરીદી કરવા આવનાર નાગરિકોને આકર્ષી શકે છે.

આ સાથે જ, નાયબ મ્યુ. કમિશનર ભોરણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરોધી કડક ડ્રાઈવ કરવામાં આવનાર છે. આ ડ્રાઈવ દરમિયાન જો કોઈ વેપારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જણાશે, તો તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો દંડ એ આવકનું સાધન નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને પાઠ ભણાવવા માટે જરૂરી કાર્યવાહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande