ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) શાળામાં નામાંકનના માધ્યમથી પાયાની કેળવણી થકી બાળકોનું ભવિષ્ય ઘડતર કરનાર પ્રણાલી એટલે પ્રવેશોત્સવ. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેકટર એન.વી.ઉપાધ્યાય સહિત ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં.
મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ અધિકારીઓને માર્ગદર્શન આપતું પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ.
શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય, શાળા પ્રવેશોત્સવ માટે પસંદગીના ધોરણો, શાળા પ્રવેશોત્સવ માટે કિટનું સાહિત્ય, શાળાકિય વિભાગની મહત્વની યોજનાઓ, એ.આઈ.આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ, શાળાકક્ષાએ યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અને શિક્ષણક્ષેત્રે ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, શિક્ષક એ સમાજની ધરોહર છે. પ્રવેશોત્સવ એટલે શિક્ષણનો મહાકુંભ. આ મહાકુંભમાં તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી અનિવાર્ય છે. પ્રવેશોત્સવ એ માત્ર શિક્ષણ વિભાગ સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં તમામ વિભાગો આવરી લેવાયાં છે. જિલ્લામાં તા.૨૬,૨૭,૨૮ દરમિયાન પ્રવેશોત્સવ યોજાવાનો છે તેમાં ૧૦૦% નામાંકન થાય એવું લક્ષ ધ્યાનમાં લઈને સુનિયોજીત કાર્ય કરવાનું છે. કલેક્ટરએ વધુમાં એસ.એમ.સી સભ્યો સાથે સંવાદ કરી એમની રજૂઆતો ધ્યાને લઈ અને એ મુજબ કાર્ય કરવા સૂચનો કર્યા હતાં.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલે ગીર સોમનાથ જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન વિગતે માહિતી પૂરી પાડી હતી.
આ બેઠકમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા સહિત પ્રવેશોત્સવને સંલગ્ન વિવિધ કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ