ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : વિશ્વ યોગ દિવસ- 2025 ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલ તા. 11 જૂનના રોજ સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેંટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગશિબિરમાં આશરે 10 હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે. તદુપરાંત મુખ્યમંત્રી, કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક આરોગ્ય તરફ સમાજને પ્રેરિત કરવા તેમજ યોગને જીવનશૈલી બનાવીને વ્યક્તિ-સમાજને તંદુરસ્ત તથા સુખમય બનાવવાના હેતુથી આ સમગ્ર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતમાં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને સંદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પણ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જેને પરિપૂર્ણ કરવામાં આ શિબિર એક સશક્ત પગલું સાબિત થશે. ‘વિશ્વ યોગ દિવસ’- 2025ની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. અમદાવાદના મહત્તમ નાગરિકો, યુવાનો, વડીલો અને યોગપ્રેમીઓને આ યોગ મહોત્સવમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ