પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં આચાર્યા ડૉ.રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ માટીમાંથી રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.રમકડાં બાળકોના શૈક્ષણિક, ભાવનાત્મક, સામાજિક અને શારીરિક વિકાસ માટેનું અગત્યનું સાધન છે. માટીમાંથી રમકડાં બનાવવાની પ્રક્રિયા તો માત્ર જ્ઞાનાત્મક કૌશલ્યોને જ નહીં પરંતુ સર્જનાત્મકતા અને સમાજીકરણને પણ પ્રોત્સાહિત કરેછે તથા કલ્પનાશક્તિ, બુધ્ધિશક્તિ, તર્કશક્તિ અને હસ્તકલા કૌશલ્યને ખીલવાનો અવસર આપે છે. તેથીજ ધોરણ 3 થી 8ની બાળાઓ માટે માટીમાંથી વિવિધ રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 181 દીકરીઓએ ભાગ લીધો હતો.
દીકરીઓએ માટીમાંથી વિવિધ આકારો આપી રમકડાં બનાવ્યા હતા. આ સ્પર્ધામાં મોનિકાબેન મોઢા, ભક્તિબેન પુરોહિત, ઉર્મિલાબેન મકવાણા, અંકિતાબેન વડગામા, પ્રિતીબેન પાણખાણીયા તથા નિકિતાબેન બામણીયાએ જજની ભૂમિકા ભજવી હતી. દરેક ધોરણમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું આયોજન સ્પર્ધા સમિતિના સભ્યો અંજલીબેન પાટણેશા, નયનાબેન જોષી, પ્રિયંકાબેન બરિદૂન, આયુષીબેન ગોહેલ તથા રવિનાબેન ઘેડીયા વગેરે શિક્ષિકા બહેનોએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya