મહેસાણા, 5 ઓગસ્ટ (હિ.સ.) સતલાસણા તાલુકાના મોટા ભાગના ખેડૂતો માટે આ વર્ષે મગફળીનું વાવેતર નુકસાનીભર્યું સાબિત થવાનું અનુમાન છે. છેલ્લા અઠવાડિયે પડેલા ભારે વરસાદ અને અપૂરતી પાણીની નિકાલ વ્યવસ્થા કારણે અનેક ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે મગફળીના છોડ પાણીમાં ડૂબી જતા પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે.
તાલુકાના વાવ ગામ સહિતના ઘણા ગામોમાં મગફળીનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. પણ વરસાદ બાદ અઠવાડિયા સુધી ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી મગફળીના વિકાસ પર ભારે અસર થઈ છે.
વાવ ગામના ખેડૂત ભીખાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “આ વર્ષે મગફળીની સારા વિકાસની આશા હતી, પણ સતત વરસાદે ખેતરમાં પાણી ઘૂસાડી દીધું. નજીકના રેલવેના કામને કારણે નિકાલના રસ્તા બંધ થઈ ગયાં છે, જેના કારણે હાલત વધુ બગડી છે. 50 વર્ષના જીવનમાં આવી સ્થિતિ કદી જોઈ નથી.”
ખેડૂતોને ખેડ, બીજ, ખાતર વગેરેનો ખર્ચ પાણીમાં ગયો છે તેવું લાગી રહ્યું છે. તેથી સરકાર તરફથી તાત્કાલિક સર્વે કરીને નુકસાનીની સહાય મળવાની માગ ઉઠી છે.
આ પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. રમેશભાઈ પટેલે સલાહ આપી છે કે, “શરુઆતમાં પાણી નિકાલ જરુરી છે. બાદમાં ખેતરમાં કોપર ઓક્ઝિ ક્લોરાઇડ અથવા ટ્રાયકોડર્મા જેવા જીવાણુ આધારિત દવાઓનો ઉપયોગ કરીને, થડની કોહવાટને ટાળી શકાય છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR