પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. તેના પરિણામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ મારફતે પાટણના સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવ્યું છે. નવા નીરના આગમન નિમિત્તે સરસ્વતી બેરેજ ખાતે વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બેરેજ ખાતે પહોંચીને શ્રીફળ વધેર્યું અને નવા નીરનું હર્ષભેર સ્વાગત કર્યું. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે સરસ્વતી ડેમમાં ૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે આ પાણી આવવાથી આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે મોટા ફાયદા મળશે. ખેતી માટે મળતું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર