પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): હારીજ નગરપાલિકા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાના કામ દરમિયાન પાણીની પાઇપલાઇનો તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને શ્રીનાથજી સ્ટીલ, શિવશક્તિ સોસાયટી અને વણકર વાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનોમાં ઠેર-ઠેર લીકેજ જોવા મળી રહી છે, અને કેટલીક જગ્યાએ તો પાઇપલાઇનો સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તૂટી ગયેલી લાઇનોના કારણે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળવાનું શરૂ થયું છે, જેના કારણે રહેવાસીઓને આરોગ્યસંભાળની દ્રષ્ટિએ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પૂરતું પીવાનું પાણી મળી રહ્યું નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર આશિષભાઈ દરજીએ યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને નોટિસ પાઠવી છે. નોટિસમાં પાઇપલાઇનને થયેલા નુકસાન માટે ₹50,000નું વળતર માંગવામાં આવ્યું છે અને ચેતવણી અપાઈ છે કે જો સમયમર્યાદામા પગલા નહીં લેવામાં આવે તો સરકારી સંપત્તિને થયેલા નુકસાનની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર