

પાટણ, 19 મે (હિ.સ.) પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં છેલ્લા 42 વર્ષથી વસવાટ કરતા અંદાજિત 150 ગરીબ પરિવારોને પાટણ નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત દબાણ ગણાવી 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળતા રહીશોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
નોટિસના વિરોધમાં રહીશો ટ્રેક્ટરો લઈને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. રહીશોએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને નિયમિત રીતે ઘરવેરો, પાણી વેરો, સફાઈ વેરો તેમજ લાઈટ વેરો ભરે છે.
રહીશોના રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં પણ આ જ સરનામું દર્શાવવામાં આવ્યું છે. મોટાભાગના પરિવારો મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે અને ચોમાસા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા વગર સ્થળ ખાલી કરાવવું અન્યાયપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પીતાંબર તળાવ શહેરના વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ છે અને ત્યાં થયેલા દબાણોથી પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોટર બોડી આસપાસના દબાણો દૂર કરવાના હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ છે.
ચીફ ઓફિસરે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી જમીન પર દબાણ કર્યા બાદ વૈકલ્પિક જગ્યાની માંગણી સ્વીકારી શકાય નહીં. પાલિકા દ્વારા નિયમ મુજબ 15 દિવસનો સમય આપીને નોટિસ પાઠવવામાં આવી છે.
અસરગ્રસ્ત રહીશોનું કહેવું છે કે, તેઓ જગ્યા ખાલી કરવા તૈયાર છે પરંતુ પહેલા સરકાર દ્વારા કાયમી પુનઃવસનની વ્યવસ્થા કરવી જોઈએ. માંગ નહીં સંતોષાય તો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન કરવાની તેમજ ઠાકોર સમાજના આગેવાનો અને સાંસદ ભરતસિંહ ડાભીને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ