
પાટણ, 20 મે (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણની એકેડેમિક કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી સુધારાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં સરકારની સૈદ્ધાંતિક મંજૂરી ન હોવા તથા લાયઝન ઇન્સ્પેક્શન કમિટી (LIC)ના નકારાત્મક અહેવાલોને આધારે 5 ટ્રસ્ટ હેઠળ ચાલતી 20 કોલેજોના જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાયો. આ કોલેજોમાં હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓના હિતમાં ખેડબ્રહ્મા-વડાલી સબ-સેન્ટરમાં ચાલુ સત્રથી જ ‘એમએસસી આઈટી’ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથે જ ડિપ્લોમા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે SOP તૈયાર કરીને પ્રવેશ પ્રક્રિયા નિયમિત કરવાની મંજૂરી પણ આપવામાં આવી. કોલેજોમાં વહીવટી સુવ્યવસ્થા માટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલની નિમણૂક અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી. ઉપરાંત NET, SLET અથવા PhD લાયકાત ધરાવતા ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવાનો તથા ટીચર્સ ટ્રેનિંગ આસિસ્ટન્ટની ભરતીનો પણ નિર્ણય લેવાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ