




કચ્છ, 20 મે (હિ.સ.) : ભુજ સ્થિત કચ્છ મ્યુઝિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા મહોત્સવ “કલાવીથિ ૨૦૨૬”નું ઉત્સાહભેર સમાપન થયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, KSKV Kachchh University અને કચ્છ મ્યૂઝિયમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવે કલા અને સંસ્કૃતિને એક નવા આયામ સાથે રજૂ કરી શહેરના કલાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો.
ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવ દરમિયાન વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, કલા પ્રદર્શન, સંસ્કૃતિ આધારિત રજૂઆતો અને વારસા સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સમાપન દિવસે યોજાયેલ લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ કલાકારોને જીવંત પ્રદર્શન કરતાં નજીકથી નિહાળ્યા હતા, જેના કારણે કલા પ્રત્યે વધુ રસ અને જિજ્ઞાસા જોવા મળી હતી.
“આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ”ની ઉજવણીને અનુલક્ષીને આયોજિત વિશેષ સત્રમાં કલા અને વારસાના સંરક્ષણ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત નિષ્ણાતોએ મ્યૂઝિયમોને માત્ર ઐતિહાસિક વસ્તુઓના સંગ્રહસ્થાન તરીકે નહીં પરંતુ નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડતા જીવંત કેન્દ્ર તરીકે ઓળખાવ્યા હતા.
સમાપન સમારોહમાં વિઝ્યુઅલ આર્ટ્સ ક્ષેત્રના પ્રોફેસર પ્રો. સોની, પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલસિંહ જાડેજા તેમજ ધવલ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સર્જનાત્મક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા અને કલા ક્ષેત્રે રહેલી કારકિર્દીની નવી તકો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલાએ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર કલાકારો, મહેમાનો, સ્વયંસેવકો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેને કારણે યુવાનોમાં નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થયો હતો.
ડૉ. સુરેલાએ જણાવ્યું હતું કે, કચ્છની લોકકલાઓ, પરંપરા અને સર્જનાત્મકતાને વધુ વ્યાપક મંચ આપવા માટે ભવિષ્યમાં પણ આવી કલાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન સતત કરવામાં આવશે. “કલાવીથિ ૨૦૨૬”એ માત્ર એક ઉત્સવ નહીં પરંતુ કચ્છના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સશક્ત પ્રયાસ સાબિત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar