
મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની દુહાને, IAS એ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાં જ તેમણે શહેરની નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યો અંગે તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન કમિશનરે શહેરના રોડ-રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ લાઇન, સફાઈ કામગીરી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરીને કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે ભાર મૂક્યો હતો.
શાલિની દુહાને જણાવ્યું હતું કે નાગરિકોને વધુ સારી અને પારદર્શક સેવાઓ મળે તે માટે તંત્ર પ્રતિબદ્ધ રહેશે. જનસહભાગિતા સાથે શહેરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે અસરકારક કામગીરી કરવામાં આવશે.
નવી નિમણૂક બાદ મનપા તંત્રમાં પણ નવી ઉર્જા જોવા મળી રહી છે. શહેરના વિકાસ અને સુશાસનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે મહેસાણા હવે નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR