
પાટણ, 21 મે (હિ.સ.) : પવિત્ર અધિક માસ નિમિત્તે પાટણના કોઠાકુઈ સ્થિત ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મંદિરે વિશેષ આંગીનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક માસની પાંચમ નિમિત્તે ભગવાનને 14 પ્રકારના ફળો અને સૂકામેવાનો દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.
આ વિશેષ આંગીમાં સફરજન, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ, કાજુ અને બદામ સહિતના મોસમી ફળો અને સૂકામેવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનના આ મનોહર દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
અખાડાના મહંત ખોડાગીરી મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર અધિક માસ દરમિયાન મંદિરે વિવિધ ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરરોજ સવારે 9 વાગ્યે પવિત્ર કથાનું રસપાન અને સાંજે મહાઆરતી યોજાય છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ એકમાત્ર સ્વયંભૂ મંદિર માનવામાં આવે છે. તેથી અધિક માસ દરમિયાન અહીં દર્શન અને ભક્તિનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ