




- મેટ્રોપોલીટીન એક્ઝીમકેમ કંપનીની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો
- ચૈતર વસાવાએ હોબાળો કર્યા બાદ બીજા બે યુવાનોના થયા મૃત્યુ એ મૃતકોને ત્યાં ખબર અંતર પણ નથી પૂછ્યા
- કંપનીઓમાં કોઈપણ ઘટના બને એટલે નેતાઓ બની પોતાના અંગત સ્વાર્થ સાધવા હલ્લાબોલનો આક્ષેપ
ભરૂચ, 21 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી.આઈ.ડી.સી. માં આવેલી મેટ્રોપોલીટીન એક્ઝીમકેમ કંપનીમાં ગત તારીખ 23/04/2026 ના રોજ થયેલા પ્રચંડ બ્લાસ્ટ અને ત્યારબાદ ફાટી નીકળેલી ભીષણ આગની દુર્ઘટનામાં આજે વધુ એક કામદારનું મોત નિપજતાં કુલ મૃત્યુ આંક વધીને 5 થયો છે. કંપનીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક આશાસ્પદ યુવાન રોનક પટેલે આજે સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
ગત 23 એપ્રિલના રોજ મેટ્રોપોલીટીન એક્ઝીમકેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક એક મોટો બ્લાસ્ટ થયો હતો, જેને પગલે સમગ્ર ફેક્ટરીમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માત સમયે પ્લાન્ટમાં ફરજ બજાવી રહેલા આશરે 16 જેટલા કામદારો આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વર, વડોદરા અને સુરતની જુદી-જુદી હોસ્પિટલોમાં સઘન સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દિવસ-રાત ચાલી રહેલી સારવાર છતાં ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોના એક પછી એક મોત થઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી જીવ ગુમાવનાર પાંચેય કમનસીબ કામદારોના નામ આ મુજબ છે ,રાકેશ વસાવા, હરિ પ્રકાશ મોતીલાલ વર્મા , પ્રવિણસિંગ અશોકસિંગ ,હાર્દિક કુમાર પરમાર અને હાલ રોનક પટેલ જેમનું આજે સારવાર દરમિયાન અવસાન થયું છે.
કંપનીમાં બ્લાસ્ટ અને આગની ઘટના બાદ ચૈતર વસાવા અને રજની વસાવા સહિતના કેટલાય નેતાઓએ કંપની ઉપર મૃતકો અને ઈજાગ્રસ્તોની વ્હારે આવી વળતરની માંગ સાથે કંપની બહાર હોબાળો કર્યો હતો .ત્યારે ચૈતર વસાવા ગેરકાયદેસર કંપનીનો દરવાજો કૂદી અંદર આવી રોશન વસાવા સાથે અને કંપનીના લોકો સાથે તેમજ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.આ બનાવને લઈ તેમની ઉપર ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી.ત્યારબાદ પણ બે અન્ય કામદારોના મૃત્યુ થયા ત્યારે તેમના પરિવારની ખબર અંતર પણ નથી પૂછવા ગયા આવો આક્ષેપ પરિજનોએ કર્યો છે.
રોનક પટેલ ઉ. વ.આશરે 24 વર્ષ સામાન્ય પરિવારનો દીકરો હતો તેનો એક નાનો ભાઈ છે .રોનક કંપનીમાં કાયમી થઈ ગયો હતો.આજે તો એના પરિવાર ઉપર જુવાનજોધ દીકરો રહ્યો નહીં હોવાથી આભ ફાટ્યું છે.આખું પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યું છે ઘેરીશોક ફેલાઈ ગયો છે .કંપનીએ તેના પરિવારને સારું વળતર આપવું જોઈએ તેવી માંગ કરી છે .
માનવ અધિકાર આયોગ અને GPCB એ લીધી ગંભીર નોંધ
આ ચકચારી અને ગંભીર દુર્ઘટનાને પગલે જીપીસીબી એ પણ કડક વલણ અપનાવ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા આ સમગ્ર મામલાની સ્વેચ્છાએ (સ્વતઃ) નોંધ લેવામાં આવી છે. આયોગે આ મામલે અત્યંત ગંભીરતા દાખવીને આગામી બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર તેમજ ભરૂચ જિલ્લાના પોલીસ અધીક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે.
કંપનીમાં સુરક્ષાના ધારાધોરણો ચૂકવાયા હતા કે કેમ અને આટલી મોટી બેદરકારી પાછળ કોણ જવાબદાર છે, તે દિશામાં હાલ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ