
વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા હિંગળાજ ગામ સ્થિત વેકરિયા હનુમાન મંદિરના લાભાર્થે કોસંબા ગામના પ્રિતમ નગર મેદાન ખાતે શ્રી દીપલા સમાજ દ્વારા ઐતિહાસિક શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર મિતેશભાઈ જોશી (બાપુ)ના મુખારવિંદથી યોજાઈ રહેલી આ કથામાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો સાથે શ્રી હનુમાન ચરિત્રનું પણ ભક્તિમય વર્ણન કરવામાં આવી રહ્યું છે.
કથાકારએ સુંદરકાંડની પવિત્ર ચોપાઈઓ દ્વારા સમાજને વિદ્યા, બળ, વિનય, વિવેક અને સંસ્કાર જેવા મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમાનજી સેવાધર્મ માટે યુવાધનના આદર્શ છે અને જીવનમાં સદાચાર તથા ભક્તિનો માર્ગ અપનાવવો જરૂરી છે.
કથા દરમિયાન ભાવિક ભક્તોને સંબોધતા કથાકારએ જણાવ્યું હતું કે માત્ર કથા સાંભળવી પૂરતી નથી, પરંતુ તેનું મનન કરી જીવનમાં ઉતારવી જરૂરી છે. પુરુષે જીવનમાં રામ અને સ્ત્રીએ સીતાના આદર્શોને અપનાવ્યા તો ધરતી પર જ રામરાજ્યની સ્થાપના થઈ શકે છે.
વ્યસનમુક્તિ અંગે પણ તેમણે ખાસ સંદેશ આપતા કહ્યું કે દારૂ, તમાકુ અને સિગારેટ જેવા વ્યસનોનો ત્યાગ કરી ધર્મના માર્ગે આગળ વધવું જોઈએ. કથાના માધ્યમથી ગામમાં સંપ, એકતા અને સૌહાર્દભાવ વધે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
કથા દરમિયાન શ્રીરામ જન્મોત્સવ, રામ-સીતા વિવાહ, સીતા વિદાય, રામ વનવાસ અને કેવટ પ્રસંગ જેવા વિવિધ પ્રસંગો ભક્તિભાવપૂર્વક ઉજવાયા હતા.
આ રામકથાની વિશેષતા એ છે કે પ્રથમવાર શનિવાર તા. ૨૩ મેના રોજ હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણી પણ યોજાનાર છે, જેના માટે શ્રી દીપલા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha