
પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી ડહોળું અને પીળાશ પડતું પાણી આવતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગે પાટણ નગરપાલિકાએ જણાવ્યું કે નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ ખોરસમ પંપિંગ સ્ટેશનથી પાણી સિદ્ધિ સરોવરમાં પહોંચે છે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા કેનાલમાંથી નીચલા સ્તરનું પાણી આવતાં તેમાં ડહોળાશ અને પીળાશ જોવા મળી રહી છે. સિદ્ધિ સરોવરથી ઇન્ટેકવેલ મારફતે પાણી ફિલ્ટર પ્લાન્ટમાં મોકલી ક્લોરિન ગેસથી શુદ્ધ કરવામાં આવે છે.
શુદ્ધિકરણ બાદ જ પાણી શહેરના વિસ્તારોમાં વિતરણ થાય છે. પાણીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસરે લોકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ