
અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલી સિટી પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જેસિંગપરા પુલ પાસે નોંધાયેલા કલમ ૩૦૭ હેઠળના ગંભીર ગુનાના ચારેય આરોપીઓને પોલીસ કડક બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું.
પોલીસ દ્વારા આરોપીઓ પાસે ઘટનાક્રમ ફરીથી સમજાવવામાં આવ્યો હતો તેમજ કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા. પોલીસે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાર્યવાહી પૂર્ણ કરી હતી.
અમરેલી સિટી પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું જોવા મળ્યું છે. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસ હવે વધુ કડક વલણ અપનાવી રહી છે તેવો સ્પષ્ટ સંદેશો સમાજમાં ગયો છે.
સ્થાનિક લોકો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સરાહનીય ગણાવી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai