જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મૃત્યુ
જામનગર, 22 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં કાલાવડ અને લાલપુર સહિતના અલગ અલગ બે વિસ્તારમાં બનેલા બે માર્ગ અકસ્માતોના બનાવોમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજતાં તે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પ્રથમ બનાવ કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં બન્
ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત


જામનગર, 22 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં કાલાવડ અને લાલપુર સહિતના અલગ અલગ બે વિસ્તારમાં બનેલા બે માર્ગ અકસ્માતોના બનાવોમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજતાં તે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

પ્રથમ બનાવ કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં બન્યો હતો અને તે અંગે કાલાવડ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ તા.18/05/2026ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે ખંઢેરા અને હરીપર ગામ વચ્ચે રોડ પર જીજે-10-ઈસી-7126 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી સામે આવતી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-03-ઈબી-7060 સાથે અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મેહુલભાઈ દેવીપૂજક (ઉ.વ. 17)ને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાયધનભાઈ ભગાભાઈ દેવીપુજકે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા બનાવમાં લાલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ તા.16/05/2026ના રોજ વહેલી સવારે લાલપુર શહીદ ગાર્ડન પાસે રોડ પર ચાલવા નીકળેલા મેઘજીભાઈ નામના બુઝુર્ગને અજાણ્યા બોલેરો પીકઅપ વેનના ચાલકે પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં મેઘજીભાઈને માથા, છાતી તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ લાલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.20/05/2026ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે મૃતક મેઘજીભાઈના પુત્ર નરેન્દ્રભાઈ ભાલોડીયાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા કલમ 106(1), 125(1), 125(2) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને બનાવોમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande