


પોરબંદર, 23 મે (હિ.સ.) : મહેરનો મણિયારો રાસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, સૌપ્રથમ પોરબંદર ખાતે સર્જાયેલું મણીયારો રાસ ગ્રુપ રાણાભાઈ સીડાના નેતૃત્વમાં છેલ્લા 60 વર્ષથી દેશ અને વિદેશની દુનિયામાં મણીયારા રાસે સૌને મંત્રમુગ્ધ કર્યા છે.
રાજસ્થાન રાજ્યમાં 150 પોલીસ કર્મીને એક મહીનો કરતા પણ વધુ તેમજ લંડન ખાતે 100 કરતા પણ વધુ યુવાનો ને બે મહિના કરતા પણ વધુ દિવસો ફ્રી તાલીમ આપેલ છે અને ખાનગી તથા સરકારી સંસ્થાઓમાં તાલીમ આપલે છે.
જોમ અને જુસ્સાથી ભરપૂર આ શૌર્ય રાસ શીખવાનો લાભ દરેક સમાજના યુવાનો અને બાળકો લઈ શકે તે હેતુથી બિરલા રોડ ઉપર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે વેકેશનના સમય દરમિયાન કોઈપણ નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીના યુવાનો અને બાળકોને સાંજના સમયે મણિયારો રાસની તાલીમ આપવામાં આવે છે.
રાસ હંમેશા શૃંગારિક હોય છે પરંતુ મણિયારો એક જ એવો રાસ છે કે જે શૌર્યથી ભરપૂર હોય છે. હાલ આ તાલીમ શિબિરમાં આપણા વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર એવો મણિયારો રાસ શીખવા માટે બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
મહેર રાસ મંડળ છાયાંના પ્રમુખ રાણાભાઈ સીડા અને સમગ્ર ટીમ દ્વારા આ એક મહિના સુધી કોઇપણ જાતનો ફંડ ફાળો કે મુળી લીધા વગર વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયાએ આ તાલીમ શિબિરની મુલાકાત લઈ સુંદર આયોજનને બિરદાવ્યું હતું અને મણિયારા રાસના માધ્યમથી આપણા વિસ્તારનું લોક સંસ્કૃતિને જીવંત રાખવા આગળ આવેલ યુવાનો અને બાળકોને બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya