
ગીર સોમનાથ, 23 મે (હિ.સ.) : તા.25 મે ના રોજ અધિક જ્યેષ્ઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે.
મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવો અને તમામ ભક્તોએ આરતીની થાળી અને દીપ પોતાની સાથે લઇને આવવાનું રહેશે. તમામ ભક્તોને ગંગાદશેરાના પવિત્ર પ્રસંગે આ પાવન આયોજન માં જોડાવા સોમનાથ ટ્રસ્ટ તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ