
નવસારી, 23 મે (હિ.સ.) ગણદેવી તાલુકાના આંતલિયા ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બાલાજી નગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય નવપરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
માહિતી મુજબ, યુવતીના લગ્નને હજુ માત્ર પાંચ મહિના જ થયા હતા. લગ્નજીવનની શરૂઆત બાદ જ તેમણે આ પ્રકારનું ગંભીર પગલું ભરતાં પરિવારજનો અને સગાસંબંધીઓ આઘાતમાં મુકાઈ ગયા છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને પક્ષોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે