
પોરબંદર, 23 મે (હિ.સ.) : દરિયામાં વધુ ઉછળતા મોજાના કારણે ખલાસી ગુમ થયો હતો. કુદરતી હાજતે ગયો ત્યારે સમુદ્રમાં ગરકાવ થયા બાદ આઠ દિવસે પણ પત્તો નહી મળતા બોટમાલિક અને પરિવારજનો ચિંતાતુર બન્યા છે.
ઉનાના નવાબંદર ખાતે રહેતા હિતેશ સોલંકીએ પોરબંદરના નવીબંદર પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે તેના પિતાની ફિશીંગબોટ માચ્છીમારી માટે ગઇ હતી અને નવાબંદરથી 15 નોટીકલ માઇલ દૂર હતી ત્યારે તા. 13-5 ના રાત્રે બે વાગ્યા આસપાસ નવાબંદરના રામમંદિર પાસે રહેતો ખલાસી સુરેશ કાળા બારીયા ઉ.વ.42 કુદરતી હાજતે જતા દરિયામાં વધુ મોજા ઉછળતા હોવાથી દરિયાના પાણીમાં પડી જતા તે ગુમ થઇ ગયો હતો. તેની સાથે રહેલા અન્ય ખલાસીઓએ આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ સુરેશનો કોઈ જ પતો મળ્યો ન હતો. તેથી અંતે તે ગુમ થયા અંગે નવીબંદર મરીન પોલીસને જાણ કરવામાં આવી છે. યુવા ખલાસી અચાનક સમુદ્રમાં ગુમ થઈ જતા બોટમાલિક અને ખલાસીઓ ઉપરાંત તેના પરિવારના સભ્યો પણ ચિંતાતુર થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya