
મહેસાણા, 24 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીતિનભાઈ પટેલે આજે ઊંઝા સ્થિત વિશ્વવિખ્યાત શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે પહોંચી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે જિલ્લા વિકાસ અને જનકલ્યાણના કાર્યો સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દર્શન બાદ નીતિનભાઈ પટેલે રાજ્યના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ રાજકીય અગ્રણિ નારાયણ કાકાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી મુદ્દાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા કાર્યો તેમજ આવનારા સમયમાં લોકોના હિત માટે હાથ ધરાનારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ નીતિનભાઈ પટેલને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજકીય અને સામાજિક વાતાવરણમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR