
સુરત, 24 મે (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં છ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં ઘરેલુ કલહને કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતક મમતાદેવી વિષ્ણુકર્મા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હતી. અગાઉ તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને એક સંતાન પણ હતું. બાદમાં વિષ્ણુકુમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરીને સુરતમાં વસવાટ શરૂ કર્યો હતો. તેઓ પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા હતા. પરિવાર તરીકે માત્ર વૃદ્ધ પિતા જ હોવાનું જાણવા મળ્યું છે.
16 મેના રોજ બપોરે મમતાદેવીએ પોતાના ઘરમાં ચોખાના ખાલી કોથળાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. પતિએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. સારવાર દરમિયાન મોત નિપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે