
સુરત, 24 મે (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરથી સુરત સુધી તેઓ વંદે ભારત ટ્રેન મારફતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરની જગ્યાએ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ટ્રેન મુસાફરીમાં જોડાયા હતા.
સુરતના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં બનાવાયેલું આ ભવ્ય વિદ્યાર્થી ભવન અંદાજે 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 13 માળનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં અહીં લગભગ 1000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઘર જેવી સુવિધા મળે તે માટે ડિજિટલ લાઇબ્રેરી, વાઈ-ફાઈ, સ્પોર્ટ્સ ઝોન અને ડાઇનિંગ હોલ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં 500 વિદ્યાર્થિનીઓ માટે ‘કિરણ મહિલા ભવન’ પણ બનાવાશે. બંને પ્રોજેક્ટ્સ પાછળ કુલ અંદાજે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સુરતમાં અભ્યાસ માટે આવતા મધ્યમ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને કિફાયતી દરે ઉત્તમ રહેવાની અને અભ્યાસની સુવિધા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે