નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, રવિવારે દેશવાસીઓને એક સમાવેશક, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફ આગળ વધવા માટે પોતાને ફરીથી સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ધનખડે તેમના શુભકામના સંદેશમાં જણાવ્યું હતું કે,” આજે આપણે છેલ્લા 75 વર્ષમાં કરેલી અપાર પ્રગતિની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી ન જઈએ કે આપણી સ્વતંત્રતા જીતવા માટે, કેટલી મહેનત કરી છે. સ્વતંત્રતા દિવસ એ બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ છે જેમની હિંમત અને બલિદાનથી આપણે દમનકારી સંસ્થાનવાદી શાસનમાંથી આઝાદી અપાવી હતી.”
ધનખડે કહ્યું કે,” આ દિવસ આધુનિક ભારતના નિર્માતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક પ્રસંગ છે જેમની સખત મહેનત અને સમર્પણથી સાર્વભૌમ, સ્થિર અને મજબૂત પ્રજાસત્તાકનો પાયો નાખ્યો હતો. આજે ભારત સંભાવનાઓથી ભરેલો દેશ છે, જે સર્વાંગી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. જેમ જેમ ભારત સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે યુવા પેઢીને દેશભક્તિ, બલિદાન અને સેવાના ગુણો આત્મસાત કરવા પ્રોત્સાહિત કરવા માટે આપણા મહાન ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણાદાયી વાર્તાઓને યાદ કરવાનો અને ફરીથી કહેવાનો સમય આવી ગયો છે.”
ઉપરાષ્ટ્રપતિએ સંદેશમાં વધુમાં જણાવ્યું હતું કે, “આ સ્વતંત્રતા દિવસ પર, ચાલો આપણે 'ભારત'ની સભ્યતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાની અમારી પ્રતિજ્ઞાને નવીકરણ કરીએ અને સર્વસમાવેશક, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફ કૂચ કરીએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / માધવી