સુરત, 4 જૂન(હિ. સ.)-રાજ્યભરમાં આજે TAT ની પરીક્ષા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. પરીક્ષામાં કોઈ ગેરરીતી ન સર્જાય તેનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત તમામ બ્લોકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે.
આજે રાજ્યભરમાં 2017 બાદ TATની પરીક્ષા યોજાઈ રહી છે. સુરતમાં 114 કેન્દ્ર પર 32 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા આપવા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં પરીક્ષા યોજાશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત -વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટર, સંગીત, ચિત્રકામ, ફિઝિકલ એજ્યુકેશન વિષયો પર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. આ પરીક્ષામાં 200 ગુણનું પેપર છે. પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સાથે તમામ બ્લોકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે.
TATની પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થી સેકન્ડરી માટે શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવી શકશે. પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે, આ વખતે નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવનાર છે. આ પરીક્ષા બાદ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા લેવામાં આવનાર છે, જે 18 તારીખે લેવાશે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આગામી સરકારી ભરતી માટે પણ આશા વ્યક્ત કરી હતી. સરકારના નિયમ મુજબ શિક્ષક માટેની ભરતી થાય તે પહેલા આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/बिनोद