
- કૃષિ શિક્ષણ અને સંશોધનના કાર્ય માટે પ્રધ્યાપકોનું નવું ચાલક બળ મળતા હવે ખેડૂતોને આધુનિક કૃષિ જ્ઞાનનો મહત્તમ લાભ મળશે
ગાંધીનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો અભિગમ હરહંમેશથી ખેડૂત, શિક્ષણ અને રોજગારલક્ષી રહ્યો છે. એ જ અભિગમને આગળ ધપાવતા રાજ્યની મહત્વકાંક્ષી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક ઓર્ડર આપવામાં થયેલા વિલંબ અંગે અનેક પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓની લાગણીને હકારાત્મક વાચા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભરતીને મંજૂરી આપી છે અને પસંદગી પામેલા 268 ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા છે.
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના ખેડૂતો માટે અત્યાર સુધીમાં 583 ખેત ઉપયોગી ભલામણો, 04 પ્રાકૃતિક કૃષિલક્ષી ભલામણો, 04 પેટેન્ટ અને 68 જેટલી પાકોની નવી જાતો વિકસાવવામાં આવી છે, જેના પરિણામે કૃષિ ક્ષેત્ર વધુ સમૃદ્ધ અને દેશના આર્થિક વિકાસને સતત વેગ મળ્યો છે. આ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાધ્યાપકો તથા વૈજ્ઞાનિકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને કૃષિ સંશોધનો પર તેની સીધી અસર થતી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ઘણા સમયથી ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક મંજૂરી આપી હતી. રાજ્ય સરકારની મંજૂરી બાદ યુનિવર્સિટી દ્વારા પ્રાધ્યાપક સંવર્ગની 40 જગ્યાઓ, સહ પ્રાધ્યાપક સંવર્ગની 73 જગ્યાઓ અને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગની 155 જગ્યાઓ મળી કુલ 268 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.
દેશનું ભવિષ્ય નિર્ધારિત કરતા આ પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાઓ લેવામાં આવ્યા હતા અને બે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘણા સમયથી નિમણૂક ઓર્ડરની રાહ જોતા અનેક પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને સમગ્ર ભરતી પ્રક્રિયા તથા બે ઓબ્ઝર્વરના અહેવાલની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સૂચનથી ભરતીને મંજૂરી આપવામાં આવી છે અને ગત તા. 05 ડિસેમ્બરના, 2025ના રોજ 268 પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક ઓર્ડર પણ એનાયત કરી દેવામાં આવ્યા છે.
આ સફળ ભરતીને કારણે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને યોગ્ય શૈક્ષણિક અને સંશોધન સ્ટાફ મળ્યો છે. જેના પરિણામે હવે કૃષિ શિક્ષણ અને કૃષિ સંશોધનના કાર્યને નવું ચાલક બળ મળશે તથા દેશના ખેડૂતોને આધુનિક કૃષિ જ્ઞાનનો મહત્તમ લાભ મળી શકશે. આ નિર્ણય યુવા શક્તિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ જણાવી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારએ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ