- GMR વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન: તાલીમ મેળવી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે યુવાનો
- છેલ્લા ચાર વર્ષમાં વાગડિયા સેન્ટર ખાતે 2048 થી વધુ યુવક-યુવતીઓએ તાલીમ મેળવી: કુલ 8 કોર્સમાં 53 ટકા તાલીમાર્થી મહિલાઓ
રાજપીપળા/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામ ખાતે જી.એમ.આર. વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિવિધ કોર્સ; ફૂડ એન્ડ બેવરેજીસ સર્વિસ, હાઉસકીપીંગ અને ગેસ્ટ સર્વિસ અટેન્ડન્ટસ, ઈ-ઓટો- પિન્ક ઓટો ડ્રાઈવર, શોફર, ટેક્સી ડ્રાઈવર, ઈલેક્ટ્રીશ્યન, બ્યુટી થેરાપિસ્ટ, ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરના તાલીમાર્થીઓની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ ક્લાસ રૂમ્સમાં જઈને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓએ બનાવેલી સલાડ ડિશ, ફ્રુટ આર્ટ, નેપ્કિન આર્ટ, કેક અને ડેઝર્ટ આર્ટ નિહાળ્યા હતા. ફૂડ અને બેવરેજીસના તાલીમાર્થીઓની સેન્ડવીચ, ખમણ, ભજીયા, ગોટા જેવા વ્યંજનોને કલાત્મક રીતે પ્રદર્શિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જી.એમ.આર. વારલક્ષ્મી ફાઉન્ડેશન, સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2021 થી એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર કાર્યરત છે, જ્યાં સ્થાનિક આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન કરી ઘરઆંગણે રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. અહીં સંચાલિત 8 કોર્સમાં હાલ 450 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.GMR-વારલક્ષ્મી ફાઉન્ડેશનના CEO અશ્વિની સક્સેનાએ કેન્દ્રની કૌશલ્ય વર્ધનની રોજગારલક્ષી પ્રવૃતિઓ વિશે રાષ્ટ્રપતિને તલસ્પર્શી જાણકારી આપી હતી. સક્સેનાએ આ સંદર્ભે રાષ્ટ્રપતિને વિગતો આપતાં જણાવ્યું કે, વાગડિયા સેન્ટરમાં હાલ 450 તાલીમાર્થી 8 જેટલા કોર્સની તાલીમ મેળવી રહ્યા છે. આ સેન્ટર થકી આજ સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં 2048થી વધુ યુવક-યુવતીઓ તાલીમબદ્ધ થયા છે. તમામ કોર્સના અભ્યાસ બાદ 80 ટકા સફળ પ્લેસમેન્ટ થાય છે, પરિણામે તાલીમાર્થીઓ આજે ઘરઆંગણે રોજગારી મેળવતા થયા છે. આ કેન્દ્રમાં ચાલતા કુલ 8 કોર્સમાં 53 ટકા તાલીમાર્થીઓ મહિલાઓ છે.
વિશેષતઃ દેશના વિવિધ રાજ્યોમાં 15 સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો કાર્યરત છે, જેના થકી આજ સુધી દેશના એક લાખ યુવક યુવતીઓ તાલીમબદ્ધ થયા છે ઉપરાંત દર વર્ષે 7 હજાર તાલીમાર્થીઓને તાલીમ આપી સ્વરોજગારી તેમજ વિવિધ એકમોમાં રોજગારી માટે કુશળ બનાવવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.રાષ્ટ્રપતિએ તાલીમાર્થીઓ, પ્રશિક્ષકોને શુભેચ્છા આપી સંસ્થાની મુલાકાત યાદગાર રહી હોવાનું વિઝીટર બુકમાં નોંધ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ