પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વેરા વધારાનો વિરોધ ચાલી રહ્યો છે. ગઈ કાલે રવિવારે શહેરના જાગૃત નાગરિકો દ્વારા રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
પોરબંદર મનપા વિસ્તારમાં શહેરને સુવિધા આપવા વિવિધ વેરાની વસુલાત કરવામાં આવે છે. ગત ડિસેમ્બર 2024માં નગરપાલિકાની છેલ્લી બોડીએ વેરા વધારાનો નિર્ણય કર્યો હતો. બાદ 1-1-2025 થી મનપા અસ્તિત્વમાં આવી હતી.અને બાદ વેરા વધારાનો નિર્ણય અમલમાં આવ્યો હતો. વિવિધ વેરા બે થી અઢી ગણા થતા લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. એક તરફ પોરબંદરમાં રોજગારી નથી અને આવકના કોઈ મોટા સ્ત્રોત નથી કે લોકો વધારે વેરાનું ભારણ ખમી શકે આમ છતાં પોરબંદર નગરપાલિકાની છેલ્લી બોડીએ કરેલા નિર્ણયો શહેરીજનો માટે ભારે પડી રહ્યા છે. ગઈ કાલે રવિવારે વેરા વધારાના વિરોધમાં જાગૃત નાગરિકોએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખીજડી પ્લોટ ગાર્ડનમાં યોગની તાલીમ આપતા જીતેન્દ્ર મદલાણીની આગેવાનીમાં ખીજડી પ્લોટ ગાર્ડનમાં રેલી યોજી હતી ત્યારબાદ પોરબંદરના ચોપાટી વિસ્તારમાં રેલી યોજી હતી સાથે ચોપાટી પર બેસેલા નગરજનોને વાંધા અરજીનું વિતરણ કરી વેરો વધારો શું છે તે લોકોને જાણકારી આપવામાં આવી હતી અને વાંધા અરજીમાં વિગતો ભરી પોરબંદર મનપા કચેરીમાં આપવા અને વિરોધના સૂરમાં સાથ આપવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya