જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.)
કેશોદ નગરપાલિકા વિસ્તારના વેરાવળ રોડ પર આવેલી દ્વારકાધીશ માર્કેટની અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસ દરમિયાન સદરહુ ઈમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું જણાયેલ છે. નગરપાલિકા દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઇ પહેલાંથી જ મિલકતધારકોને અનેકવાર મૌખિક સૂચનાઓ તથા તા.૦૧-૦૬-૨૦૨૪ અને તા.૨૨-૦૭-૨૦૨૪ના રોજ લેખિતનોટિસ આપીને ઈમારતનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી, સરકાર માન્ય સ્ટ્રકચરલ ઇજનેરના માર્ગદર્શન હેઠળ જરૂરી મરામત કરાવી સ્ટેબિલિટી રિપોર્ટ અત્રેની કચેરીને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં, આજદિન સુધી મિલકતધારકો તરફથી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતા, કેશોદ નગરપાલિકા દ્વારા તા. ૨૨-૦૫-૨૦૨૫ના રોજ આખરી નોટિસ આપી ૧૫ દિવસની અંદર ઈમારત ખાલી કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. આમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, તા. ૨૧-૦૭-૨૦૨૫ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સદરહુ ઇમારતને કોર્ડન કરીને જાહેર અવરજવર માટે બંધ કરવામા આવી તથા વીજળી, નળ અને ગટરનું કનેક્શન તાત્કાલિક ધોરણે બંધ કરાયું. આ ઉપરાંત તમામ ૪૧૯ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, આ ઈમારતમાં દરરોજ આશરે ૨૦૦ થી ૩૦૦ લોકો અવરજવર કરતાં હોવાથી, ઈમારતના ધરાશાયી થવાના જોખમને પગલે મોટી જાનહાની થવાની શક્યતા હતી. જનસુરક્ષા ને અનુરૂપ અને ભૂલચૂકથી કોઈ જાનમાલના નુકસાનથી બચવા માટે, આ તમામ પગલાં સાવચેતીના હેતુથી લેવામાં આવ્યા છે.
આ અંગે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે, આ બિલ્ડિંગ ABANDONED તરીકે જાહેર કરાયેલ હોવાથી ત્યાં અવરજવર કરવાનું ટાળી પોતાની અને અન્યની સલામતી સુનિશ્ચિત કરવી.
ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ