
અમદાવાદ, 11 મે (હિ.સ.) : મધર્સ ડેની ઉજવણી નિમિત્તે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એમટીએમના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે માતૃત્વ અને ઓળખ: માતા બન્યા પછી સ્ત્રીઓ પોતાની જાતને ફરીથી કેવી રીતે શોધે છે વિષય પર એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
માતૃત્વ એ એક પરિવર્તનકારી સફર છે જે ઘણીવાર વ્યક્તિની વ્યક્તિગત અને વ્યાવસાયિક ઓળખના પુનઃમૂલ્યાંકનની આવશ્યકતા ઉભી કરે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ પરિવર્તનને શોધવાનો હતો, જેમાં સ્ત્રીઓ પોતાની સ્વ-ઓળખ જાળવી રાખીને તેમની વિકસતી ભૂમિકાઓને કેવી રીતે સંભાળે છે તે અંગે આંતરદૃષ્ટિ આપવામાં આવી હતી.
જાણીતા વક્તાઓ ડૉ.પાયલ ગૌરવ મહેતા, આરતી ખટવાણી ભાટિયા,તન્વી રાઠોડ,વૈશાલી વૈષ્ણવ, પાર્થિવી અદ્યારુ જેઓ પોતાની કારકિર્દી, સર્જનાત્મકતા અને પરિવાર વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રહ્યા છે, તેઓ દ્રારા પેનલ ડિસ્કશનને સંબોધવામાં આવ્યું હતું. રાજસી ગજ્જર દ્રારા આ પેનલ ડિસ્કશનનું સંચાલન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ