મહેસાણા, 10 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ઈસબગુલની ખરીદી આજે પૂર્ણ રીતે બંધ રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ પેદાશ ઈસબગુલ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસુલાત શરૂ કરાતા સ્થાનિક વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ઈસબગુલને પરંપરાગત રીતે કૃષિ ઉત્પાદન તરીકે માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં તેને પ્રોસેસ્ડ પ્રોડક્ટ તરીકે ગણાવી 5 ટકાનો GST લગાવવામાં આવ્યો છે, જેના વિરોધમાં વેપારીઓએ ખરીદી બંધ રાખી આંદોલન શરૂ કર્યું છે.
ઉંઝા માર્કેટ ઈસબગુલના વેપારમાં દેશભરમાં અગત્યનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં રોજિંદા કરોડો રૂપિયાનું લેવડદેવડ થાય છે. વેપારીઓના જણાવ્યા મુજબ, GST લાગુ થતાં ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે અને બજારની સ્પર્ધાત્મકતા પણ ઘટશે. આ કારણે વેપારીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ઈસબગુલને કૃષિ પેદાશ તરીકે જ રાખી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. વેપારીઓના આંદોલનને પગલે આજે માર્કેટ યાર્ડમાં ખરીદી-વેચાણ ઠપ રહી હતી, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. જો આવનારા દિવસોમાં સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાય, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR