જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.): જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને લઈને કેટલાક વિક્રેતાઓ, કે જેઓ કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમીના આધારે સિટી એ. અને સી. ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ, પવનચક્કી તેમજ રોજી પંપ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મંજૂરી વિના ફટાકડા વેચી રહેલા 6 વિક્રેતાઓને ઝડપી લીધા છે, અને તેઓ સામે ગુન્હા નોંધાયા છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા મહેશ નરશીભાઈ નામના દેવીપુજક વેપારી કે જેની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજુરી ન હોવા છતાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેની સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓશવાળ સર્કલ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અક્ષય વિજયભાઈ નંદા, ઉપરાંત મોહિત સુભાષભાઈ નંદા અને કિશન કેશુભાઈ ચુડાસમાને પણ મંજૂરી વિના ફટાકડા નું વેચાણ કરતાં પકડી પાડ્યા છે, અને તમામ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા એરફોર્સ રોડ પર રોજી પંપ પાસે દરોડો પાડી જાહેરમાં લાઇસન્સ વિના ફટાકડા નું વેચાણ કરી રહેલા રાજેશ નારણભાઈની અટકાયત કરી લઈ તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
તે જ રીતે રોઝી પંપ નજીકના વિસ્તારમાં લાઇસન્સના ફટાકડાનું વેચાણ કરી રહેલા દિપક પરસોત્તમભાઈ સદારંગાણી નામના વેપારીની પણ અટકાયત કરી લઇ તેની પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt