સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતાના મતવિસ્તાર સુરત પહોંચ્યા હતા. પરંતુ દિવાળી પર્વ દરમિયાન સામાન્ય નાગરિકોને ટ્રાફિક અને પરિવહન સંબંધિત મુશ્કેલીઓ ન પડે તે માટે તેમણે સ્વાગત રેલી ન યોજવા માટે કાર્યકરો અને શુભેચ્છકોને આગ્રહ કર્યો હતો.
હર્ષ સંઘવીના આગમનને લઈને સુરતના કાર્યકરો અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભવ્ય સ્વાગત રેલી માટે તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સંઘવીએ જનહિતને ધ્યાનમાં રાખીને રેલી રદ કરવાની વિનંતી કરી.
તેને અનુસરીને નાયબ મુખ્યમંત્રી રેલવે સ્ટેશન પરથી સીધા નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. દિવાળીના માહોલમાં શહેરના રસ્તાઓ પર વધેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેમની આ સંવેદનશીલ અને જવાબદાર નિર્ણાયક ભૂમિકા કાર્યકરો તથા નાગરિકો દ્વારા પણ વખાણાઈ રહી છે.
સુરતના લોકોએ સંઘવીના આ પગલાંને, જનહિત માટેનું ઉત્તમ ઉદાહરણ ગણાવી તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે