મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.)ખેડૂતોને તેમના પાકના તોલ અને ભાવમાં સંપૂર્ણ પારદર્શિતા મળે તે માટે રાજ્યભરના તમામ એપીએમસીમાં નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગ દ્વારા નવી સૂચના જાહેર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ આ નિર્ણયનો અમલ શરૂ થયો છે, જેમાં તોલ અને ભાવની સ્પષ્ટતા સાથે કોઈપણ પ્રકારની કપાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વિજાપુર એપીએમસીના નવનિયુક્ત ચેરમેન રાજુભાઈ પટેલે વિજાપુર મુખ્ય માર્કેટ, કુકરવાડા, લાડોલ સબ માર્કેટ તેમજ તમાકુ માર્કેટયાર્ડના તમામ વેપારીઓને પત્ર દ્વારા સૂચના આપી છે કે આ નિયમનો કડક અમલ લાભપાંચમથી શરૂ કરવામાં આવશે.
ચેરમેન રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ, હવે ખેડૂતનો માલ વેચાયા બાદ તેનો તોલ માત્ર બજાર સમિતિના વજનકાંટામાં જ થશે અને તેમાં કોઈપણ પ્રકારની કપાત કરવામાં આવશે નહીં. હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબનું સંપૂર્ણ બિલ ખેડૂતોને આપવું ફરજિયાત રહેશે. વે-બ્રિજ પર થયેલા ચોખ્ખા વજનમાંથી વધારાનું કે રજ વજન કપાત કરવાની મનાઈ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR