મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્ય રાવળ યોગી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક એકેડમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત ‘નિર્ઝર’ સામાયિકનું વિમોચન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ તરીકે દૂધસાગર ડેરી મહેસાણાના મેનેજર હિતેષભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને ‘નિર્ઝર’ સામાયિકનું વિમોચન કરી સમાજને અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે રાવળ સમાજના અગ્રણીઓ જેમ કે દેવુભાઈ રાવળ, ચંદુભાઈ રાવળ, ચુનીલાલ યોગી, નારણભાઈ રાવળ, કેશુભાઈ રાવળ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય એકેડમીના પ્રમુખ સુરેશભાઈ રાવળ અને મહામંત્રી મગનભાઈ રાવળે સુંદર આયોજન કરી સમાજને પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા.
આ વિમોચન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાહિત્ય, કલા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાનો હતો. ખાસ કરીને યુવાનો શિક્ષણના ક્ષેત્રે આગળ વધે અને સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR