સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-દિવાળીના તહેવાર દરમ્યાન સુરત ST વિભાગ માટે આ વર્ષે શુભ સંકેત સાબિત થયો છે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિભાગે વધારાની બસ સેવા શરૂ કરી, જેના કારણે સુરત ST ડેપોને કુલ 2.6 કરોડ રૂપિયાની નોંધપાત્ર આવક થઈ છે.
તહેવાર દરમિયાન લોકો પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં ST બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે સુરત વિભાગે 1259 વધારાની ટ્રિપ ચલાવી હતી. આ વધારાની સેવાઓ દ્વારા અંદાજે 67 હજારથી વધુ મુસાફરોને લાભ મળ્યો હતો.
સુરત વિભાગ દ્વારા દિવાળીના સમયગાળા દરમિયાન અમરેલી, ભાવનગર, મહુવા, દાહોદ, ઝાલોદ, ઉના, સાવરકુંડલા સહિતના જિલ્લાઓમાં બસો દોડાવવામાં આવી હતી. ઑનલાઇન અને ઑફલાઇન બંને માધ્યમથી ટિકિટ બુકિંગની સુવિધાનો લાભ મુસાફરોએ ઉત્સાહપૂર્વક લીધો હતો.
એસ.ટી. નિગમે મુસાફરોને સમયસર અને સુરક્ષિત રીતે ગંતવ્યે પહોંચાડતાં, આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વિભાગ મુજબ, આવનારા તહેવારોમાં પણ મુસાફરોની માંગને અનુરૂપ આવી જ વધારાની સેવાઓ આપવામાં આવશે, જેથી જાહેર પરિવહન વધુ સુગમ અને લાભદાયી બની શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે