સુરત , 9 ઓક્ટોબર (હિ.સ.)- સુરતને દેશના અગ્રણી સ્વચ્છ શહેરોની લીગમાં સ્થાન અપાવવામાં
મહત્વની ભૂમિકા ભજવનાર સુરતના સ્વચ્છતાદૂતો સાથે દિવાળીના શુભ પર્વ નિમિત્તે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પોતાના સુરત નિવાસસ્થાને ભોજન કરી
સ્વચ્છતાના સેવાકાર્ય બદલ પ્રોત્સાહિત કર્યા હતા. સમર્પિત સફાઈકર્મીઓના કારણે
સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં એક અનોખી ઓળખ મેળવી છે, ત્યારે
મંત્રીએ સફાઈકર્મીઓને બિરદાવી સુરતને વધુને વધુ વ્યાપક સ્વચ્છ, સુઘડ શહેર
બનાવવા પ્રેરિત કર્યા હતા.
પાટીલે જણાવ્યું હતું કે, આ સમર્પિત સાથીદારોના અવિરત સમર્પણ અને મહેનતથી
જ સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં એક અનોખી ઓળખ સ્થાપિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર
કરવામાં સ્વચ્છતા દૂતોનું યોગદાન ખરેખર અનુકરણીય છે. પાટીલે સ્વચ્છતા દૂતોના સેવાની ભાવના અને કાર્યનિષ્ઠાને અભિનંદન આપતાં જણાવ્યું
હતું કે તેમના પ્રયાસોથી સુરત માત્ર સ્વચ્છ શહેર જ નહીં, પરંતુ એક
પ્રેરણાદાયી શહેર તરીકે ઉભર્યું છે. સૌ સ્વચ્છતા દૂતોને પ્રકાશ-ઉજાસના તહેવાર
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે