
- પ્રતિ મણ 1452 ના ભાવે ખરીદી શરૂ, મુળી તાલુકાના 4700 ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનું લક્ષ્ય
- સુવ્યવસ્થિત મોનિટરિંગ સાથે દૈનિક 100 ખેડૂતોની મગફળી ખરીદાશે
સુરેન્દ્રનગર, 10 નવેમ્બર (હિ.સ.) ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આજથી મૂળી એપીએમસી ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમારે ખરીદ પ્રક્રિયા અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મણ મગફળીનો ટેકાનો ભાવ 1452 થી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
મુળી સેન્ટર ઉપર અંદાજિત 4700 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે, મુહૂર્તમાં, શરૂઆતમાં 10 ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત 100 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવી છે અને સુવ્યવસ્થિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરકારી પહેલથી ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળી રહેશે અને તેમને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવશે. આમ વ્યવસ્થિત આયોજનને કારણે ખરીદીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી રીતે પૂર્ણ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ