
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt