
સુરેન્દ્રનગર,10 નવેમ્બર (હિ.સ.) દેદાદરા ગામના ખેડૂતોએ તાજેતરમાં કપાસ અને એરંડાના પાકમાં થયેલા મોટા નુકસાન સામે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષ વ્યક્ત કર્યો છે.
ખેડૂત મોરી પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, અકાળે થયેલા માવઠાના કારણે કપાસ સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું હતું. આ કપરા સમયે ગુજરાત સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને રાહત પેકેજ જાહેર કર્યું, જેનાથી ખેડૂતોમાં આશા જાગી છે.
ખેડૂત કાનજી ડોડિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે કપાસ, એરંડા સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાનીનું અધિકારીઓ અને ગ્રામ સેવકો દ્વારા પંચરોજકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, અને આ કામગીરીથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. વધુમાં 10000 કરોડના ઐતિહાસિક પેકેજ બદલ સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂત મહાદેવ ડોડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે માત્ર આ વખતે જ નહીં, પરંતુ ભૂતકાળમાં જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે, ત્યારે હંમેશા ખેડૂતોને મદદ કરી છે. વધુમાં, આગામી રવિ પાક માટે પણ ખેડૂતોને જે સહાય કરવામાં આવશે, તે પણ ખૂબ મદદરૂપ થશે.
દેદાદરા ગામના ખેડૂત ખાતેદારોએ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સરકાર દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને અસરકારક મદદ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ