



મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું શંખલપુર ગામ આજે સમગ્ર જિલ્લામાં “આદર્શ ગામ” તરીકે ઓળખાય છે. મા બહુચરનું આદ્યસ્થાન ગણાતું આ ગામ માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ વિકાસ, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓમાં પણ શહેરોને ટક્કર આપે એવું બની ગયું છે.ગામમાં સિવિલ હોસ્પિટલથી લઈને હાયર સેકન્ડરી સ્કૂલ સુધીની તમામ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ, જેમાં સાયન્સ સ્ટ્રીમ પણ શામેલ છે, શંખલપુરને શૈક્ષણિક રીતે સ્વયંસંપૂર્ણ બનાવે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે બાળકોને હવે શહેર જવાની જરૂર રહેતી નથી.સરપંચ પરેશકુમાર લાલજીભાઈ પટેલના નેતૃત્વમાં ગામના લોકોના સંયુક્ત પ્રયત્નોથી શંખલપુરે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડોના ખર્ચે આર.સી.સી. રોડ, બ્લોક માર્ગો, હરિયાળી ભરેલા બગીચા અને આધુનિક ગ્રામ પંચાયત ઓફિસ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દરેક મોહલ્લામાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે, જ્યારે દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી અને સામૂહિક આર.ઓ. પ્લાન્ટ ઉપલબ્ધ છે.શંખલપુરને 100 ટકા ODF મોડેલ ગામ તરીકે માન્યતા મળી છે. દરરોજ ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન, સ્વચ્છ માર્ગો અને હરિયાળ બગીચાઓ ગામની ઓળખ બની ગયા છે. ગામમાં બનાવવામાં આવેલું 70 ફૂટ ઊંચું પંખીઘર પર્યાવરણપ્રેમ અને જીવદયા પ્રત્યેની ગામજનોની સંવેદનશીલતા દર્શાવે છે.ઉદ્યોગિક ક્ષેત્રની નજીક હોવાથી અહીંના ઘણા ગ્રામજનોને રોજગાર મળી રહ્યો છે, જેના કારણે ગામની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. સરપંચ પરેશકુમાર પટેલ કહે છે, “વિકાસ માત્ર સરપંચથી નહીં, પરંતુ સમગ્ર ગામની એકતા અને સહકારથી શક્ય બને છે.”આજે શંખલપુરનું સ્વચ્છતા અને વિકાસ મોડેલ અન્ય ગામો માટે પ્રેરણાસ્રોત બની ગયું છે — સાચા અર્થમાં આ ગામ છે “ગામ હો તો શંખલપુર જેવું”.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR