
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના વાગદોડ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘાસચારો બગડતાં તીવ્ર અછત સર્જાઈ છે. અધાર, કિમ્બુવા, કોઈટા, સિયોલ સહિતના ગામો પશુપાલન પર આધારિત હોવાથી પશુપાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી ગાય, ભેંસ અને બકરા જેવા દૂધાળાં પશુઓને, ખેતરોમાંથી લાવવામાં આવતા લીમડાના પાનથી ખવડાવવાની ફરજ પડી રહી છે. ઘાસચારાની આ અછતને કારણે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એવી વ્યથા પશુપાલકોએ મીડિયાને જણાવી હતી.
અધાર ગામના પશુપાલક મહીપતસિંહ ઠાકોરે જણાવ્યું કે, ઘાસચારો ન મળતાં લીમડો ખવડાવવો પડે છે, જ્યારે લીમડાનો ભારો લઈને આવતી ગામની એક મહિલાએ પણ દૂરના ખેતરોમાંથી લીમડો કાપીને લાવવાનો બોજો વર્ણવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ