

મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : વિસનગર ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સામાજિક સેવા અને માનવતા ના ઊંડા ભાવથી “રોટરી અક્ષયરથ” પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ઊર્જામંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તેમના હસ્તે “રોટરી અક્ષયરથ”ને લીલી ઝંડી આપી સન્માનપૂર્વક પ્રસ્થાન કરાવાયું.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સમાજમાં વધતા ભોજન વેડફાટને અટકાવી તેનો સદુપયોગ કરવો છે. લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો અથવા અન્ય સામાજિક સમારંભોમાં વધતું સ્વચ્છ અને તાજું ભોજન એકત્ર કરી તેને જરૂરિયાતમંદ લોકો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનો આ અક્ષયરથનો મુખ્ય ધ્યેય છે. અન્નદાનને મહાદાન ગણતી ભારતીય પરંપરાને આગળ વધારતો આ પ્રોજેક્ટ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બનવાનો છે.
કાર્યક્રમ દરમિયાન ઊર્જામંત્રી ઋષિકેશ પટેલે રોટરી ક્લબના આ માનવસેવા આધારિત પ્રયાસની સરાહના કરી અને વધુથી વધુ નાગરિકોને આ યજ્ઞમાં જોડાવાનું આહ્વાન કર્યું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, અગ્રણી નિગમભાઈ ચૌધરી તથા રોટરી ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટની શરૂઆતથી વિસનગરમાં માનવતા અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR