



પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા નવ્યુગ હાઈસ્કુલ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ખાસ શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાના 672થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 24 ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ ભરતીમેળામાં સ્થાનિક ખાનગી શાળાઓના નોકરીદાતાઓ જેવી કે ચમ સ્કુલ, કસ્તુરબા સ્કુલ, ચાણક્ય સ્કુલ, કે.બી તાજાવાલા સ્કુલ, યાજ્ઞવલ્ક્યા ઈંગ્લિશ મિડિયમ સ્કુલ, વી.જે મદ્રેસા સ્કુલ, વાઈડ વિંગ્સ પ્રિ સ્કુલ-રાણાવાવ તેમજ સરસ્વતી સ્કુલ, ખાંભોદરના પ્રતિનિધીઓએ હાજર રહીને તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
આ રોજગાર મેળામાં હાજર રહેલ 24 ઉમેદવારોમાંથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 13 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya